ઘમ્મર વલોણું-૩૫
મન સાથે રિસાઈ જવાનું તો કેમનું પાલવે ? એવી ભૂલ કરવાનું તો વિચારાય પણ નહિ અને હું એ જ ભૂલ નાદાનીયતમાં કરી બેઠો. ઠંડુ ખાવાથી શરદી અને ઉધરસ થાય. ગરમ ખાવાથી જીભ અને તાળવુ દાઝી જાય. હવે મન સાથે અવળું પડે તો કેવા પરિણામ આવી શકે એવી તો કલ્પના પણ નહોતી કરી. જો કે એવી કલ્પના તો શું કામ કરવી પણ જોઈએ. પહેલા તો એવો વિચાર કરવા બેઠો કે મન સાથે રિસાયો કેમ ? અરે આ શું ? મન તો રૂસણા લઇ બેઠું છે અને એને જ વિચારવાનું કહ્યું. દિલમાંથી એક ઘેરો અવાજ આવ્યો : કઈ પાગલ થઇ ગયો છે કે શું ?
હવે તો મારે પણ શું કરવું એય વિચારી કે કરી ના શક્યો. મન સ્થિર છે કે વિપરીત ? દિલ ધડકે છે કે શ્વાસો ચાલે છે એવું કહેવા વાળું મન તો આજે રિસાઈ ગયું છે. મેં એને ધીરેથી ખલેલ ના પડે એવી રીતે એનાં તરફ જોયું કે એવું તો મ્હો મચકોડી લીધું કે જાણે જન્મો જનમના વેર હોય ! મારે તો એનાં વગર ચાલે એમ નહોતું આથી મેં તો એની સામે જ ટગર ટગર જોયે રાખ્યું. ઘણી પળો એનું મચકોડપણ રહ્યું; પણ એક પળ એવી આવી કે તે પીગળ્યું અને મારી સામે જોયું.
“ તારા જેવું કોણ થાય; કહે શું છે ? ” લપડાક જેવી ધારદાર વાત
“ માનું છું કે હું જ ગુનેગાર હોઈશ, પણ આમ….”
“ અરે બસ કર બસ…એક તો પોતે રિસાય ને ચોર જ કોટવાળ ને ગુસ્સે થાય જેવી વાત. ”
હાશ…..એટલું તો સારું થયું કે મન કશું બોલ્યું. એનું મચકોડાયેલું મ્હો જોઇને તો એવું લાગેલું કે એ હવે જિંદગીભર નહિ બોલે. મેં એ વિષે વિચારવા થોડો પ્રયત્ન કર્યો પણ મન તો હજી મારી સાથે નારાજ હતું. આથી મારેજ પહેલ કરવી પડશે.
“ સોરી બાબા હવે થોડું સ્મિત લાવ તો હું રીલેક્ષ થાઉં ”
“ કેમ રે રીસાયેલો હતો ને મને મનાવે છે; બેય નો કોઈ પ્રાસ નથી મળતો ! ”
બે હાથ અને ત્રીજું માથું નમાવી ને પ્રતિજ્ઞા કરી કે કદી મન સાથે વાંકું ના પાડવું.
આથી જ કોઈ પંડિત વ્યક્તિએ કહ્યું છે કે મન હોય તો માળવે જવાય અને મન ના હોય તો માંડવો પણ ના ચઢી શકાય !!
પિંગબેક: ઘમ્મર વલોણું-૩૫ – RKD-रंग कसुंबल डायरो
Thank you very much ! 🙂